મિત્રો ધોની v/s હજારે વાંચી અચંબામાં ના પડી જતા કે આ કોઈ નવી ક્રિકેટ ટીમ નથી . આ તો ક્રિકેટ અને ભ્રષ્ટાચાર વિશેની વાત છે . ક્રિકેટમાં જેમ ધોનીનું નામ વિશ્વપ્રસિદ્ધ છે તે જ રીતે ભ્રષ્ટાચાર વિરોધી જુંબેશમાં શ્રી અન્ના હજારે એટલે ડૉ કિશન બાબુરાવ હજારે પણ વિશ્વપ્રસિદ્ધ છે .

આપણા દેશમાં મોટાભાગના નાના , મોટા અને વડીલોમાં ક્રિકેટ નામનો વાયરસ ફેલાઈ ગયો છે . ચારેબાજુ માત્ર ક્રિક્રેટની જ ચર્ચા થઇ રહી છે . આપણા દેશની અને પોતાના અંગત જીવનની તકલીફો માટે સમય નથી પણ ક્રિકેટ જોવામાં અને ક્રિકેટની ચર્ચા કરવા માટે પૂરતો સમય છે . દરેક દેશવાસીઓને ક્રિકેટ અને અન્ય રમત માટેનો શોખ હોવો જ જોઈએ પણ તે હાવિ ન થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ .

આપણે ક્રિકેટ મેચ જોવાથી માંડી મેચ જોવાની ઉજવણી સુધી એકજુટ થઇ જવા તૈયાર હોઈએ છીએ પણ દેશમાં પ્રવર્તતી સમસ્યાઓ માટે સમય જ નથી તે કેટલું વ્યાજબી ગણાય . ક્રિકેટ માટે જેટલો સમય ફાળવીએ તેનાથી ઓછો સમય પણ દેશ માટે ફાળવીએ તો દેશનું અને આપણું પણ કલ્યાણ થઇ જાય .

મોટાભાગના મિત્રોને ક્રિકેટનો ઇતિહાસ મોઢે હોય છે . ક્રિકેટમાં છેલ્લો વર્લ્ડકપ ક્યાં રમાયો હતો , કોણ જીત્યું હતું અને કોને મેન ઓફ દ મેચ કે સીરીઝ બન્યું હતું તે મોઢે હોય છે . સચિનના રનનો વર્લ્ડ રેકોર્ડ હોય કે મુરલીધરનની વિકેટનો રેકોર્ડ જાણવામાં બધાને રસ હોય છે . સચિને કઈ કઈ મેચમાં , કયા સ્ટેડીયમમાં , કયો રેકોર્ડ કર્યો હતો તે આંકડા સહીત યાદ હોય છે . વર્લ્ડકપમાં સચિન , પોન્ટિંગ , દિલશાન , હેડન , કપિલ દેવ , લારા વગેરેને વર્ષ તથા મેચ સાથે વિગતવાર યાદ રાખવામાં આવે છે .

કમનસીબે  દેશમાં ક્યારે , કોણે અને કેટલો ભ્રષ્ટાચાર કરીને દેશને કેટલું નુકશાન કર્યું છે તેવું યાદ રાખવાનું કામ માત્ર મીડિયા જ કરે છે . દેશવાસીઓને પોતાના ટેક્સના નાણાનું શું થાય છે તેનું ધ્યાન રાખવામાં રસ જ નથી . ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર શ્રી અન્ના હજારે જેવા કર્મશીલ વ્યક્તિઓને સાથ આપવાનો પણ સમય નથી . શ્રી અન્ન હજારે જેવા વ્યક્તિઓ દેશ માટે આમરણ ઉપવાસ કરે કે પોલીસના ડંડા ખાય પણ ક્રિકેટ રસિકોને તેમાં રસ નથી .

આપણી સરકાર આપણને ક્રિકેટમય કે રમતની ગેલમાં રાખી વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે . આપણા દેશમાં બોફોર્સ કૌભાંડ , સ્પેક્ટ્રમ કૌભાંડ , કોમનવેલ્થ કૌભાંડ , મુંબઈમાં આદર્શ સોસાયટી કૌભાંડમાં કેટલા નાણાનું નુકશાન થયું તેની કોઈને પડી નથી . પત્રકારો અને મીડિયા છાપે ચડાવે એટલે લોકો થોડા દિવસ ચર્ચા કરી પાછા પોતાને કામે લાગી જઈ ભુલી પણ જાય છે .

ક્રિકેટમાં વર્લ્ડકપ જીતથી કે સચિનના વર્લ્ડ રેકોર્ડથી માત્ર દેશનું નામ જ ઊંચું થાય છે પણ દેશનો કોઈ વિકાસ થતો નથી . ક્રિકેટમાં માત્ર ને માત્ર ક્રિકેટરોનો આર્થિક વિકાસ થાય છે અને ચાહકોનો કદાચ આર્થિક વિકાસ અવરોધાય છે . ભ્રષ્ટાચારની અધધ રકમ જો દેશના કામમાં વપરાઈ હોત તો પ્રજાની સુખાકારીમાં વધારો થયો હોત . કૌભાંડની રકમનો સરવાળો માંડીએતો તે રકમમાંથી કદાચ સારા સ્ટેડિયમ બની શક્યા હોત , વધુ સારી શૈક્ષણિક સંસ્થા બની હોત , સારા રસ્તા અને શુદ્ધ પાણીની સગવડ થઇ શકી હોત , અધ્યતન હોસ્પિટલ બની શકી હોત , ખેડૂતોને ઓછા વ્યાજે કૃષિ લોન મળી શકી હોત , અધ્યતન ટેકનોલોજી વિકસી શકી હોત અને તેનાથી દેશનો સર્વાંગી વિકાસ થયો હોત .

દેશવાસીઓ વધુ જાગૃત બનશે તો દેશનો વહીવટ વધુ પારદર્શી અને સુયોગ્ય બની શકે તેમ છે . આપણે સૌએ ક્રિકેટની દુનિયાથી આગળ વધી શ્રી અન્ના હજારે જેવા વ્યક્તિઓને પડખે ઉભા રહી દેશના કૌભાંડકારીઓ સામે આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે . ક્રિકેટની જીત બાદ એકજુટ થઇ મહોલ્લો અને શહેર ગજવી દઈએ છીએ તો ભ્રષ્ટાચારીઓ સામે એકજુટ થઇ હલ્લો મચાવાનો પણ પ્રયાસ કરવો પડશે .

ક્રિકેટમાં શરદ પવાર જેવા રાજકારણીઓ વર્લ્ડકપ ઘરઆંગણે રચી મેચ રસિકોને ભરપુર મજા અપાવે છે તેની સાથે કૃષિ ક્ષત્રે વ્યાપક ભ્રષ્ટાચાર કરી મોંઘવારીની ધોકાવારીથી મધ્યમવર્ગને હંફાવે પણ છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ .

આપણે આપણી અંગત માલ મિલ્કત માટે જેટલા જવાબદાર અને સજાગ છીએ તેનાથી વધુ દેશની સંપત્તિ માટે સજાગ બનવું પડશે . જેમ ધોનીનો જાદુ ચારે બાજુ ફેલાઈ ગયો છે તેવી જ રીતે શ્રી અન્ના હજારે જેવા વ્યક્તિઓના વિચારો પણ ચારે બાજુ ફેલાવાની જવાબદારી પણ આપણા શિરે છે .

રાજકારણીઓ પોતાના ફાયદાના બિલ જેવાંકે પગાર બિલ માટે એકજુટ થઇ સંસંદમાં બિલ પાસ કરે છે , જયારે લોકપાલ બિલ માટે બધા વચ્ચે અસહમતી હોવાનું કારણ તેઓની નિયતમાં ખોટ છે . આપણા રાજકારણીઓ આપણા પરસેવાની અને ટેક્ષના નાણાનું બેટ બનાવી ભ્રષ્ટાચારના બોલ પર ચોક્કા છક્કા મારી પોતાનો અંગત સ્કોર ઉભો કરવામાં જ વ્યસ્ત છે ત્યારે આપણે સૌએ ભેગા મળી તેઓની વિકેટ લેવાનો સમય આવી ગયો છે .

12 thoughts on “ધોની V/s હજારે

  1. તમે સારું શીર્ષક પસંદ કર્યું છે. આ દેશના વ્યક્તીત્ત્વનાં આ બે સામસામા છેડા છે – દોનધ્રુવ !

    ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દેવાયો છે. એની સામે પડવું સહેલું નથી. અણ્ણાજીએ ફુંકેલું રણશીંગું કેટલાને જગાડશે તે પ્રશ્ન છે…હું પોતે જ કશું કરી શકવાનો નથી !! સૌ લાચાર થઈ ગયાં છીએ.

    લેખ બદલ ધન્યવાદ.

    1. જુગલ દાદા આપણે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનતો અટકાવવા ની પહેલ કરવી જ પડશે . અન્નાજીના ફૂકેલા રણશીંગાએ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે . કોઈ એક વ્યક્તિ કંઈ કરી શકે નહી પણ ક્રિકેટ માટે જેમ એકજુટ થઈએ છીએ તેમ એકજુટ થઈશું તો આપણે નહી પણ કદાચ ભ્રષ્ટાચારીઓ લાચાર થઇ જશે .
      દાદા મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર .

    1. અલ્કેશભાઈ આપણે સૌએ અવાજ ઉઠાવવો પડશે જે છેક સંસદ ભવન સુધી પહોંચે અને ભ્રષ્ટાચારીઓને ચેતવણી મળી જાય .
      અલ્કેશભાઈ મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર .

  2. “જેમ ધોનીનો જાદુ ચારે બાજુ ફેલાઈ ગયો છે તેવી જ રીતે શ્રી અન્ના હજારે જેવા વ્યક્તિઓના વિચારો પણ ચારે બાજુ ફેલાવાની જવાબદારી પણ આપણા શિરે છે .”

    અને આપ સમ ઘણા બ્લોગરમિત્રોએ એ જવાબદારી નિભાવી છે અને નિભાવશે તેનો આનંદ પણ છે. આપે બહુ વિચારવંત લેખ આપ્યો છે. માન.જુગલકિશોરભાઇને પણ કહેવાનું કે આમ નિરાશ ન થાઓ, ટીપે ટીપે સરોવર ભરાય. એક અન્ના હજારેજી, એક જુગલકિશોરભાઇ, એક રૂપેનભાઇ, એક વ્યક્તિથી કદાચ કશું ન થઇ શકે પરંતુ એક “વિચાર” ઈતિહાસ બદલી શકે છે તેતો આપ સૌ જ્ઞાનીજનોને વિદિત હોય જ. સુંદર, વિચારવંતા લેખ બદલ આભાર.

    1. અશોકભાઈ એક “વિચાર” ઈતિહાસ બદલી શકે છે , આપની વાત સાચી છે . આપણે શરૂઆત કરશું તો મિત્રો પણ જોડાઈ જશે અને સમાજમાં એક મોટો સમૂહ તૈયાર થશે .
      અશોકભાઈ મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર .

  3. અમે તો ભ્રષ્ટાચાર કેવળ સમાચાર કે ઇન્ટર્નેટથી જાણીએ,ત્યાં રહે છે
    તે જ ઘાયલકી ગત ઘાયલ જાણે.જુગલભાઈ સર્જક લાચાર થાય ત્યારે સમાજ અને સંસ્કૃતિ કડડભૂસ થાય-…”હું પોતે જ કશું કરી શકવાનો નથી “આ લાચારી છે અને બેદરકારી પણ.

  4. are bhrashtachar ne jadmud thi khtm krvo hoy to matra kavi lekhko na lakhva thi ke prachar krva thi kay loko ma jagruti ny aave….ena mate to yuva pedhi e jumplavu pdse…jo aaj ni yuva pedhi jagrut thy jay to 100 % aapne aa dushn ne aapna des mathi kadhi skiye…pn yuvano ni sathe…vdilo no sath shkar ane aarsivad khub jruri che…jethi kri ne aa bhrashta char nam nu dushn bne telu velu bhgadi skay..

Leave a comment